ઉત્કર્ષ ડાન્સ એકેડેમીની શ્રીમતી બેનાઝ તોડીવાલાના માર્ગદર્શન હેઠળ સાઉથ કોરિયામાં ભારતના વિવિધ પ્રાંતોની સંસ્કૃતિ અને લોકનૃત્યો રજૂ કરવા ગયેલ દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા દર્ષણા જરદોશ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા.
આ દીકરીઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય લોકસંસ્કૃતિને રજૂ કરી દેશનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ તેમને સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દર્ષણા જરદોશે દીકરીઓના પ્રયત્નોને બિરદાવતા કહ્યું કે, આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ભારતની નરમ શક્તિ (Soft Power)ને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવે છે.
કાર્યક્રમમાં પદ્મશ્રી યઝદીભાઈ કરનજીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દીકરીઓ તથા ઉત્કર્ષ ડાન્સ એકેડેમીની પ્રશંસા કરી હતી. સાથે જ, ભાગ લેનાર દીકરીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે શ્રીમતી બેનાઝ તોડીવાલાએ જણાવ્યું કે, ભવિષ્યમાં પણ ભારતીય સંસ્કૃતિ અને લોકનૃત્યને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે આવા પ્રયાસો ચાલુ રહેશે.
