ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ એ આસામના દરાંગ જિલ્લામાં સિપાજહાર નજીક આવેલા ખાતારા સત્રા ની મુલાકાત લીધી. આ મુલાકાત દ્વારા આસામની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાને વિશેષ ઉજાગર કરવામાં આવી.
ઈ.સ. 1568માં મહાપુરુષ માધવદેવના શિષ્ય લેચાકોનિયા ગોવિંદ આતા દ્વારા સ્થાપિત ખાતારા સત્રા આસામના સૌથી પ્રાચીન વૈષ્ણવ મઠોમાંનું એક છે. 450 વર્ષથી વધુના ઈતિહાસ ધરાવતું આ સત્રા વૈષ્ણવ દર્શન અને સત્રિયા સંસ્કૃતિના પ્રચારનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે.
ખાતારા સત્રા સત્રિયા નૃત્ય, સંગીત અને પરંપરાગત કલા સ્વરૂપોની જાળવણી માટે જાણીતું છે. સાથે જ અહીં ઉજવાતો પાચતિ ઉત્સવ ભક્તો અને સાંસ્કૃતિક રસિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.
મુલાકાત દરમિયાન દર્શના જરદોશે સત્રાના સંચાલકો અને ભક્તો સાથે સંવાદ કર્યો અને આસામની આધ્યાત્મિક ધરોહરને જાળવવામાં સત્રાની ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી. તેમણે આવી ઐતિહાસિક સંસ્થાઓના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો.
